જામનગર : સસોઇ ડેમમાં નર્મદા નદીના નવા નીરની આવક થતાં કૃષિમંત્રીએ વધામણાં કર્યા...
જામનગરના 35 ચેકડેમોમાંથી 14 ડેમોને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે
જામનગરના 35 ચેકડેમોમાંથી 14 ડેમોને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે, ત્યારે સસોઇ ડેમ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા.
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગર ખાતે સસોઇ ડેમમાં આવેલ નર્મદા નદીના નવા નીરનાં વધામણાં કરવામાં આવ્યા હતા. 'સૌની યોજના લિંક-1' મારફતે મચ્છુ-2 ડેમથી પમ્પીંગ કરીને આજી-3 ડેમ પમ્પીંગ સ્ટેશન, ઊંડ-1 ડેમ પમ્પીંગ સ્ટેશન અને પીપરટોડા પમ્પીંગ સ્ટેશન મારફતે જામનગર-લાલપુર તાલુકા સ્થિત સસોઈ ડેમમાં અંદાજિત 100 એમ.સી.એફ.ટી. પાણી ઠાલવવામાં આવ્યું હતું, ત્યારે સરકાર દ્વારા 'સૌની યોજના' અંતર્ગત રૂ. 1200 કરોડથી પણ વધુના ખર્ચે સૌરાષ્ટ્ર-કચ્છના અંતિમ ગામોમાં નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં જામનગર મેયર બીના કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, પ્રદેશ કારોબારી ચેરમેન ડો. વિનુ ભંડેરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શાશક પક્ષના નેતા કુસુમ મહેતા વિવિધ વિભાગના અધિકારીઓ સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, નર્મદા નદીના નીરથી દરેક ડેમો ભરવામાં આવ્યા છે. હાલ તમામ ડેમ છલકાયેલા હોવાથી આ વર્ષે શહેરીજનોને પીવાના પાણીની તકલીફ નહીં પડે.