લીલી પરિક્રમા કરાઈ સ્થગિત
કમોસમી વરસાદનું વિઘ્ન
રસ્તા ખરાબ થતા પરિક્રમા મૌકૂફ
પ્રશાસન અને સાધુ સંતોએ લીધો નિર્ણય
શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે લેવાયો નિર્ણય
જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમા અંગે સાધુ સંતો તેમજ પ્રશાસન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેમાં કમોસમી વરસાદના કારણે રસ્તા ખરાબ હોવાના કારણે પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે.
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય 'લીલી પરિક્રમા' ને ભારે વરસાદને કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં પડેલા કમોસમી અને અનરાધાર વરસાદના પગલે પરિક્રમાના સમગ્ર રૂટ પર માઠી અસર થતાં વહીવટી તંત્ર દ્વારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે પરિક્રમાનો સમગ્ર માર્ગ ખરાબ રીતે ધોવાઈ ગયો છે અને અનેક જગ્યાએ રસ્તો બિસ્માર બની ગયો છે. આ રૂટ પર પગપાળા ચાલવું અત્યંત જોખમી બની શકે તેમ હોવાથી, જ્યાં સુધી વરસાદની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. લીલી પરિક્રમાને સ્થગિત કરવા અંગેનો આખરી નિર્ણય વહીવટી તંત્ર અને ગિરનારના સાધુ-સંતો વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠક બાદ લેવામાં આવ્યો હતો. સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું કે શ્રદ્ધાળુઓના જીવનું જોખમ લેવું યોગ્ય નથી.