જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે, જેને લઈ સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.
જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકની 2 મોટી ઓઝત અને મધુવંતી નદીનાં પાણી ભેગા થાય છે. આ વિસ્તાર મોટે ભાગે સપાટ વિસ્તાર છે. એટલે સ્વાભાવિક છે કે, અહી નદીઓનાં પાણી વધારે આવે, અને એટલે ખેતરમાં ફેલાઈ જાય. તો બીજી તરફ, દરિયામાંથી પણ સામેથી પાણી આવે એટલે એમાં પાણી જવા કે, પાણીનો નિકાલ કરવામાં તકલીફ થાય છે. ઉનાળામાં પીવાનું પાણી મળે નહીં, અને ચોમાસામાં વધારે પાણી આવે એ સમસ્યાનું લાંબા ગાળા માટે સમાધાન કરવાની મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. આ માટે સિંચાઈ વિભાગમાંથી કન્સલ્ટન્સી નક્કી થઈ છે, અને ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે, જેને લઈ સર્વેની કામગીરી માટે આદેશ અપાયો છે. જુનાગઢના ઘેડ વિસ્તારની સમસ્યા માટે કાયમી નિરાકરણ લાવવા અને 6-7 મહિનામાં સમગ્ર પ્લાન તૈયાર કરવા માટે પણ તંત્રને સૂચના આપવામાં આવી છે.