ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા
વરસાદી પાણી અનેક ખેડૂતોના ખેતરોમાં ઘુસી ગયા
સ્થળ ત્યાં જળની પરિસ્થિતિનું નિર્માણ થતાં તંત્ર એલર્ટ
NDRF-SDRF દ્વારા 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
PGVCL સહિત આપત્તિ વ્યવસ્થાપનની ટીમ સ્ટેન્ડબાય
જુનાગઢ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. સ્થળ ત્યાં જળની પરિસ્થિતિનું નિર્માણ થતાં વહીવટી તંત્ર દ્વારા PGVCL અને આપત્તિ વ્યવસ્થાપન સહિતની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
જુનાગઢ અને આસપાસના ગામોમાં અતિભારે વરસાદના કારણે પાણી ધોધની જેમ નદીઓમાં વહેવા લાગ્યા છે. વરસાદી પાણી અનેક ખેડૂતોના ખેતરોમાં ઘુસી ગયા છે. આ પાણીના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોની જમીન અને પાકનું ધોવાણ થતા પારાવાર નુકસાન થવા પામ્યું છે. આ ઉપરાંત સોડવદર, ઘુડવદરમાં ગિરનાર પરથી નદીઓ નાળાઓમાંથી પુરજોશથી વરસાદી પાણી આવવાના કારણે આ વિસ્તારમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે.
જુનાગઢ જિલ્લાના 14 ડેમ ઓવરફ્લો થતાં 86 ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે બાટવા ખારા ડેમના દરવાજા ખુલતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી જતા NDRF અને SDRF ટીમ દ્વારા 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ સાથે જ NDRF અને SDRF ટીમ દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.
મધુવંતી ડેમ ઓવરફ્લો થતાં ડાલામથ્થો મગરમચ્છ પણ પાણીમાં વહી આવ્યો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જુનાગઢના ઘેડ પંથકનું આખોદર ગામ બેટમાં ફેરવાતા તબાહીનો માહોલ યથાવત રહ્યો છે. માર્ગ પર રીક્ષા ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે, સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં વરસાદ ખમૈયા કરે, અને પાણી ઓસરી જાય તે માટે મટીયાણા ગામના સરપંચએ દુહો ગાઇને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી. જોકે, હજુ આગામી 2 દિવસ જુનાગઢ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ હોવાથી વહીવટી તંત્ર દ્વારા PGVCL અને આપત્તિ વ્યવસ્થાપન સહિતની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.