ખેડા: લગ્નપ્રસંગમાં જમણવાર બાદ વર કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઝનિંગની અસર
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી.
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. વર-કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી. નિકોલમાં વિશાલા લેન્ડમાર્કમાં આવેલી હોટલના બેન્કવેટ હોટલમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. જ્યાં જમણવારમાં વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. રાત્રે જાનૈયાઓ સહિતના તમામ લોકોએ ભોજન લીધું હતું. જ્યારે મોડીરાત્રે જાન વિદાય થઈ હતી. આ જાન જ્યારે નડિયાદ નજીક પહોંચી ત્યારે 40થી 45 જાનૈયાઓને અચાનક જ ઉલટીઓ થવા લાગી હતી. જેને પગલે તેઓને તાત્કાલિક નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગની અસરના કારણે તમામ જાનૈયાઓને ખૂબ જ ઉલટી અને ઝાડા થવા લાગ્યા હતા જેના કારણે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે