-
કચ્છમાં પાકિસ્તાનના હુમલા નિષ્ફળ
-
હુમલા બાદ લોકોને કરાયા સતર્ક
-
ભુજમાં બજાર કરવામાં આવ્યા બંધ
-
સુરક્ષા સલામતીના ભાગરૂપે લેવામાં આવ્યો નિર્ણય
-
જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ઉમટી ભીડ
-
રાત્રી દરમિયાન સંપૂર્ણ બ્લેકઆઉટ માટે અપાઈ સૂચના
ભારત પર પાકિસ્તાન દ્વારા ડ્રોનથી નિષ્ફળ હુમલા કરાઈ રહ્યા છે. ત્યારે સંભવિત યુદ્ધની સ્થિતિને પગલે કચ્છના વહીવટીતંત્ર દ્વારા તમામ બજારોને બંધ રાખવા જણાવાયું છે. ત્યારે હાલમાં ભુજમાં ખુલી રહેલી દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી છે. લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા છે.
ભારત પર પાકિસ્તાન દ્વારા ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા,જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.જોકે સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં કચ્છમાં સાવચેતીના ભાગરૂપે જિલ્લાના લોકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા કહેવાયું છે. તેમજ કોઈ પણ નાગરિક બિનજરૂરી બહાર ન નીકળે તથા રાત્રી દરમિયાન પણ સૌને સ્વયંભૂ બ્લેકઆઉટનું સંપૂર્ણપણે પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત ભુજ સહિતના સ્થળોએ સાવચેતીના ભાગરૂપે બજારો પણ બંધ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.જોકે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે દુકાનો પર ગ્રાહકોની ભીડ ઉમટી પડી હતી.પરંતુ વહીવટી તંત્રની સૂચનાને પગલે લોકોએ સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખી હતી,અને તંત્રને યુદ્ધની સ્થિતિમાં સંપૂર્ણ સહયોગ આપવા માટેની તૈયારી દર્શાવી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવભરી સ્થિતિના પગલે કચ્છ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો બીજી તરફ, કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા નાગરિક ધર્મ નિભાવવા લોકોને વિશેષ અપીલ કરવામાં આવી છે.
જેમાં રાત્રીના સમયે તમામ નાગરિકો લાઈટ બંધ રાખીને "સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટ"માં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે. આ સાથે જ નાગરિકોએ બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા તેમજ તંત્રની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે.