આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે ઠેર ઠેર તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. તો સાથે જ મકાન, ઇમારતો, સરકારી ઇમારતો, મંદિર તેમજ મસ્જિદ પર તિરંગા લહેરાવાયા છે. તો બીજી તરફ કચ્છ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં ભુજ શહેરના માર્ગ પર કેટલાક વીજ પોલ ઉપર તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. જોકે, તિરંગો ફરકાવવા માટે દિશાનિર્દેશોનું પાલન નહીં થયું હોવાનું સામે આવ્યું છે.
ત્યારે આ વાત નગરપાલિકાના ધ્યાને આવતા ક્રેનની મદદ લઈ વીજ પોલ પરથી તમામ તિરંગાને સન્માનભેર ઉતારી લેવામાં આવ્યા હતા. જેમાં રાષ્ટ્રધ્વજની ગરિમા ન જળવાતી હોવાનો પાલિકા દ્વારા મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો, ભારે પવન સાથે વરસાદ વરસે તો વીજ પોલ ઉપર ફરકાવવામાં આવેલા તિરંગા પડી જવાની શક્યતા હોવાથી પાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજને ઉતારી લેવામાં આવ્યા હતા.