-
લીલીયાના પૂજાપાદરમાં જોવા મળ્યો ચાર પગનો આંતક
-
વાડામાં દીપડો ત્રાટકતા 16 ઘેટા-બકરાના નીપજ્યાં મોત
-
દીપડાએ 7 ઘેટા-બકરાને પહોંચાડી હતી ગંભીર ઈજાઓ
-
ઘેટા-બકરાના મોતને લઈ પશુપાલક માલધારીમાં હતાશા
-
વન વિભાગ દ્વારા હિંસક દીપડાને પકડી પાડવાની કવાયત
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પૂજાપાદર ગામમાં ઘેટા-બકરાના વાડામાં દીપડો ત્રાટક્યો હતો. દીપડાના હુમલામાં 16 ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 7 પશુઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે લીલીયા તાલુકાના પૂજાપાદર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના માલધારી ગોવિંદ રાતડીયાના ઘેટા-બકરાના વાડામાં રાત્રિના સમયે દીપડો ત્રાટક્યો હતો. દીપડાના અચાનક હુમલાથી વાડામાં રહેલા પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં 16 ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 7 પશુઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બનાવની જાણ થતાં લીલીયા રેન્જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગે પંચનામાની કાર્યવાહી હાથ ધરી દીપડાનું લોકેશન શોધવા માટે સ્કેનિંગની કામગીરી શરૂ કરી છે. આ સાથે જ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરા મુકવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સરકારના નિયમ મુજબ માલધારી પરિવારને મૃત પશુઓનું વળતર ચૂકવવામાં આવશે. તો બીજી તરફ, ગ્રામજનોએ દીપડાને પકડીને અન્યત્ર ખસેડવાની માંગણી કરી છે.