/connect-gujarat/media/post_banners/4e1ccdf55dd4e3ab72a6e0c0203921f24f308751252a77ef04cdb96f899aa603.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના રાજપીપળા જેલમાં કેદ ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા પહોચ્યા હતા.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓને માર મારવા અને એક રાઉન્ડ હવામાં ગોળીબાર બાબતે ગત તા. 3 નવેમ્બરના રોજ ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં ચૈતર વસાવાના વકીલ દ્વારા નર્મદા જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીને નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. હાલ ચૈતર વસાવા અને તેમની પત્નીને જેલમાં રાખવામાં આવ્યા છે, ત્યારે આજરોજ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરાથી હેલિકોપ્ટર મારફતે નર્મદા જિલ્લામાં આવી પહોચ્યા હતા. ત્યારબાદ તેઓને કાફલો રાજપીપળા જેલ ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા પહોચ્યો હતો. આ તરફ, AAP ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવાનો પરિવાર પણ જેલ પહોચ્યો હતો, ત્યારે નર્મદા પોલીસ દ્વારા જેલ બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
તો બીજી તરફ, ગતરોજ નેત્રંગ ખાતેથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર સભાણે સંબોધતા ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાની AAPના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી, ત્યારે આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, હવે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ દરેક પાર્ટીના લોકો પોતાના ફાયદા અને ઉમેદવારના નામની જાહેરાતોને લઈને ઉત્સાહી હોય છે, તે સ્વાભાવિક વાત છે. AAP પાર્ટી ચૈતર વસાવાનું નામ જાહેર કરે કે, કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરે, એનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફર્ક નથી પડતો હોવાની સાંસદ મનસુખ વસાવાએ વાત કરી હતી. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પણ સાંસદે શાબ્દિક પ્રહારો કરતાં જણાવ્યુ હતું કે, જે રીતે પંજાબ અને હરિયાણામાં AAP પાર્ટીને જીત મળી છે, તેવી રીતે ગુજરાતમાં AAP નહીં આવી શકે તેવો વહેમ કેજરીવાલે પોતાના મનમાંથી કાઢી નાખવો પડશે.