નર્મદા : હવે, શ્રધ્ધાળુઓ નર્મદા મહાઆરતીને વેબસાઇટ પર LIVE નિહાળી શકશે, મુખ્યમંત્રીએ કર્યું ઇ-લોંચિંગ...
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે હવે લોકો માટે નર્મદા મહાઆરતીને ઓનલાઈન નિહાળવું,
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે હવે લોકો માટે નર્મદા મહાઆરતીને ઓનલાઈન નિહાળવું, આરતીમાં યજમાન પદ સહિત ઘરે બેઠા પ્રસાદ મેળવી શકાય તે માટે વેબસાઇટનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી જોડાઈ આ વેબસાઇટનું ઇ-લોંચિંગ કર્યું હતું.
નર્મદા મહાઆરતીની વેબસાઇટના ઇ-લોંચિંગ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાવન સલીલા મા નર્મદા નદીના દર્શન માત્રથી ધન્ય થઇ જવાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે ઘાટનું નિર્માણ કરી શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે નર્મદા મહાઆરતીનો પ્રાયોગિક ધોરણે આરંભ કરાવ્યો છે.
શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા માટે www.narmadamahaaarti.in વેબસાઇટ વિકસાવવામાં આવી છે, જેનું પણ નર્મદા મહાઆરતી બાદ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વેબસાઇટ મારફતે શ્રધ્ધાળુઓ આરતીના યજમાનનો લાભ લઇ શકશે અને શ્રધ્ધાળુ કદાચિત રૂબરૂ ન આવી શકે તો વર્ચ્યુઅલ યજમાન તરીકેનો પણ લાભ લઇ શકશે. આ ઉપરાંત આદિવાસી ખેડૂતની જમીનના અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જુથ દ્વારા નિર્મિત પ્રસાદ નજીવા દરે ઘરે બેઠા મેળવી શકાશે. આ મહાઆરતીમાં 6 હજારથી પણ વધુ લોકો ભાગ લઈ શકે તેવું આયોજન કરાયું છે. ઉપરાંત શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઇ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકારના કોરીડોરની વ્યવસ્થા કરવામાં આવી છે.