Connect Gujarat
ગુજરાત

નવસારી : વાંસદામાં 2 બાળકોની હત્યા કરી દંપતીએ ફાંસો ખાધો, એકસાથે 4 લોકોના મોતથી ચકચાર...

હૈયુ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના રવાણિયા ગામે 2 બાળકોની હત્યા કરી દંપતીએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

X

નવસારી જિલ્લામાંથી હૈયુ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના રવાણિયા ગામે 2 બાળકોની હત્યા કરી દંપતીએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ હત્યા પાછળનું કારણ પ્રેમપ્રકરણ સામે આવ્યું છે, ત્યારે એક જ પરિવારના 4 સભ્યોના મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વાંસદા તાલુકાના રવાણીયા ગામના બોરી ફળિયામાં રહેતા 39 વર્ષીય ચુનીલાલ જત્તર ગાવિતના લગ્ન 9 વર્ષ અગાઉ તનુજાબેન સાથે થયા હતા. 9 વર્ષના લગ્ન જીવનમાં દંપતીને 2 બાળકો હતા. ચુનીલાલ યુનિબેઝ કંપની દમણ ખાતે નોકરી કરતો હતો, જ્યારે તેની સાથે કામ કરતી આહવા-ડાંગ જિલ્લાની યુવતી સાથે તેનો પ્રેમસંબંધ બંધાયો હતો. તેની સાથે ઘર સંસાર માંડવાનો હોવાની ચુનીલાલે ઘરે વાત કરી હતી. ત્યારબાદ ગત 10મી માર્ચના રોજ ચુનિલાલ યુવતીને ઘરે લઈ આવ્યો હતો અને કહ્યું કે, આ યુવતીને હું બીજી પત્ની તરીકે રાખવાનો છુ. તેવી વાત કરતા ચુનીલાલના પિતાએ તેને 2 દિવસ પછી વાતચીત કરી નક્કી કરીશું તેમ કહ્યું હતું. જેથી ચુનીલાલ બેન અને બનેવીને યુવતીના ઘરે જવા વાંસદા ખાતે મુકી આવ્યો હતો. ચુનીલાલને યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને તે બીજી પત્ની તરીકે લાવવાનો હોય જેના કારણે પતિ-પત્ની વચ્ચે મન દુઃખ ચાલતું હતું. થોડા સમય અગાઉ દંપતી સાપુતારા ફરવા ગયું હતું, જ્યાંથી પરત આવી ગઇકાલે તેઓ સાંજે વાંસદા ગયા હતા, જ્યાં તેઓએ બાળકોને મારીને આત્મહત્યા કરવાનો પ્લાન કર્યો હતો, અને ત્યારબાદ મોડી રાતે પાછા ફર્યા હતા. પરંતુ વહેલી સવારે બાળકોને જાગેલા ન જોતા તપાસ કરતા તમામના મૃતદેહ જોવા મળ્યા હતા. આ બાબતે ચુનીલાલના પિતા જતર ગાંવીતે ગુનો નોંધાવતાં પોલીસે 2 ગુના નોંધ્યા છે. જેમાં એક બાળકોની હત્યામાં મૃતક પતિ-પત્ની વિરુદ્ધ અને બીજા કેસમાં પતિ-પત્નીના આકસ્મિક મોતનો ગુનો નોધ્યો છે, ત્યારે હાલ તો આ મામલે વાંસદા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Next Story