નવસારી : ગણદેવીમાં રસી માટે લોકો રાતથી જ સેન્ટરની બહાર ગોઠવાયા
કોરોના સામે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રસીકરણ પર ભાર મૂકી રહી છે.
કોરોના સામે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રસીકરણ પર ભાર મૂકી રહી છે. પરંતુ અપૂરતા જથ્થાના કારણે લોકો રાતથી જ લાઈનમાં લાગી રહ્યા છે. ત્યારે નવસારીના ગ્રામીણ વિસ્તારમાં પણ કઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યાં વેકસીન મુકાવવા માટે રાતથી જ સેન્ટરની બહાર ગોઠવાય જાય છે.
રાજ્ય સરકારે આગામી 31 જુલાઇ સુધી વેપારી વર્ગને નોકરી ધંધા કરતા લોકો માટે રસીનો પ્રથમ ડોઝ ફરજિયાત મુકાવી દેવા માટેની જાહેરાત કરવામાં આવી છે. એવા સમયે નવસારી જિલ્લામાં રસીના અપૂરતા ડોઝ આવતા લોકો મોડી રાતથી લાઈન લાગવી રહ્યા છે. ગણદેવી તાલુકામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર લોકો વેકસીન મુકાવવા માટે રાતથી જ સેન્ટરની બહાર ગોઠવાય જાય છે. તાલુકામાં અપૂરતા પ્રમાણમાં આવતી રસીના જથ્થાના કારણે ઘણા લોકો રસીકરણના પહેલાં ડોઝથી વંચિત રહી ગયા છે. જેના કારણે મોડી રાતથી જ લોકો પોતાનો ટોકન મેળવવા માટે લાઇનો લગાવી રહ્યા છે.
દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં લોકો કોરોનાની રસી મુકાવવા માટે દોડધામ કરી રહયાં છે. દરેક જગ્યા પર હવે કોરોનાની વેકસીન અંગેના સર્ટીફીકેટ માંગવામાં આવી રહયાં છે જેથી લોકો વેકસીન મુકાવવા માટે ધસારો કરી રહયાં છે. નવસારીના ગણદેવી સામુહિક આરોગ્ય કેન્દ્ર પર રોજની અંદાજિત 50 જેટલા ડોઝ આવે છે અને રસી લેવા માટે 200થી વધુ લોકો રાતથી લાઈન લગાવી રહ્યા છે. ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સવારે સાત વાગે ટોકન આપવામાં આવે છે અને ત્યારબાદ રસીકરણની શરૂઆત થાય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સહેલાઈથી રસી મળી રહે એ પ્રમાણેનું આયોજન કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે.