નવસારી : હોમવર્ક નહીં કરતાં શાળા આચાર્યએ વિદ્યાર્થિનીને માર માર્યો, માઠું લાગી આવતા વિદ્યાર્થીનીનો આપઘાત : પરિવાર
નવસારી જિલ્લાના ચીખલીની એક શાળામાં વિદ્યાર્થીનીને ઠપકો આપવા સાથે માર મારવું આચાર્યને ભારે પડ્યું છે.
નવસારી જિલ્લાના ચીખલીની એક શાળામાં વિદ્યાર્થીનીને ઠપકો આપવા સાથે માર મારવું આચાર્યને ભારે પડ્યું છે. જેમાં વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે પરિવારે શાળા તથા આચાર્યના ઘરે પહોચી ભારે હોબાળો મચાવ્યો હતો.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના એક ગામમાં ધોરણ 12ની વિદ્યાર્થીની એકમ કસોટીની બુક ઘરે ભૂલી જતા શાળાના આચાર્યએ તેને શાળામાં માર માર્યો હોવાના આક્ષેપ થયા હતા. જેને પગલે સંભવિત રીતે દ્રષ્ટિને માઠું લાગી આવતા તેણે ઘરના પાછળના ભાગે એકાતમાં ગળે ફાંસો ખાઈ જીવંત ટૂંકવતા મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનોએ શાળા અને ત્યારબાદ આચાર્યના ઘરે પહોચી હોબાળો મચાવતા માહોલ ગરમાયો હતો. મૃતક યુવતીના પિતાએ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેમની 17 વર્ષીય દીકરી ગામની જ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી હતી, અને તેણીને માઠું લાગી આવતા આપઘાત કરી લીધો છે.
ગત તા. 28ના રોજ શાળામાં યુનિટ ટેસ્ટ લેવામાં આવી હતી, અને વિદ્યાર્થિનીએ હોમવર્ક કર્યું ન હતું, જ્યારે બીજા દિવસે વિદ્યાર્થીઓની બુક શાળામાં જમા કરાવવાની હતી. જે બાબતે વિદ્યાર્થીનીને સ્કૂલમાં આચાર્ય સમતા પટેલે ખોટું કેમ બોલે છે, તેવું કહેવા સાથે માર માર્યો હતો. જેથી વિદ્યાર્થીનીને માઠું લાગી આવ્યું હતું, અને તેણે પોતાના ઘરની પાછળ આવેલા પેજારીમાં લાકડાના દંડા ઉપર દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, વિદ્યાર્થીઓને આચાર્ય મારે તે સહજ લાગે પરંતુ શાળામાં કોઈપણ જાતનો હોદ્દો ન ધરાવતા સમતા પટેલના પતિ અક્ષય પટેલે પણ વિદ્યાર્થી દર્ષ્ટિને સોટીથી ફટકારતા વિદ્યાર્થીને અપમાનજનક લાગતા તેણીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે ચીખલી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મૃતક વિદ્યાર્થિનીના પરિજનોએ માંગ કરી છે.