![પંચમહાલ : કાલોલમાં ગૌમાંસના મુદ્દે કોમી રમખાણો, બે પોલીસ અધિકારીઓને પહોંચી ઇજા](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/2f4c6b6bbcbdbffee3c2cfca864d7870210feb44c96f3a4279331a19b5845010.jpg)
પંચમહાલ જિલ્લાના કાલોલમાં ગૌમાંસની બાતમીના મુદ્દે બે કોમના ટોળા આમને સામને આવી જતાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. ટોળાએ કરેલાં પથ્થરમારામાં એલસીબી પીઆઇ સહિત બે પોલીસ અધિકારીઓ ઘવાયાં હતાં. ટોળાઓને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડવામાં આવ્યાં હતાં.
રાજયભરના પોલીસ કર્મચારીઓને અમદાવાદની રથયાત્રાના બંદોબસ્તમાં ગોઠવી દેવાયાં છે. અમદાવાદની રથયાત્રાના ગણતરીના કલાકો પહેલાં જ પંચમહાલ જિલ્લાના કાલોલમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં છે. શનિવારે બપોરના સમયે બંને કોમના ટોળા આમને સામને આવી જતાં ભારે પથ્થરમારો થયો હતો. જેમાં બે પોલીસ અધિકારીઓ સહિત અનેક લોકોને ઇજા પહોંચી છે. થોડા દિવસો પહેલાં ગૌમાંસ અંગે પોલીસને બાતમી આપી હોવાની રીસ રાખી લઘુમતી યુવાનોએ હિંદુ યુવાનને માર માર્યો હતો. આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે શનિવારના રોજ હિંદુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં. પોલીસ સ્ટેશનની બહાર જ બંને કોમના ટોળા ભેગા થઇ જતાં સામસામે પથ્થરમારો થઇ ગયો હતો. જોતજોતામાં કાલોલ શહેરની શાંતિમાં પલિતો ચંપાઇ ગયો હતો. બસ સ્ટેન્ડ સહિતના અનેક વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના બાદ પોલીસ કાફલો કાલોલમાં ખડકી દેવાયો હતો. ટોળાઓને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડવામાં આવ્યાં હતાં. હાલ સમગ્ર શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તથા તોફાનીઓને શોધી કાઢવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે.