ઘોઘંબામાં GFLમાં સર્જાય મોટી દુર્ઘટના
GFL કંપનીમાં ગેસ લીકેજથી અફરાતફરી
12 જેટલા લોકો થયા ઇજાગ્રસ્ત
ગેસ લીકેજમાં એક વ્યક્તિનું નીપજ્યું મોત
પોલીસ સહિતની એજન્સીઓએ શરૂ કરી તપાસ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL)માં અચાનક ગેસ ગળતરની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી,આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું,જ્યારે 12 જેટલા લોકો અસરગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL)માં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અચાનક ગેસ ગળતરની ઘટના બનતા કંપની સંકુલમાં ભારે નાસભાગ મચી ગઈ હતી,ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા.રાજગઢ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સૌ પ્રથમ, ફેક્ટરીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ ગેસ લીકેજની ઘટનામાં 12 લોકો અસરગ્રસ્ત થયા હતા,જેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ દરમિયાન સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
GFLમાં ગેસ લીકેજને કારણે ફેક્ટરીની અંદર પ્રવેશવું શક્ય ન હોવા છતાં,તંત્ર દ્વારા ગેસ લીકેજને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ બનાવને પગલે આસપાસના રહેવાસીઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. તંત્ર દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવે તે માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.