શિક્ષણનું ધામ થયું પુનઃકલંકિત
શાળાના આચાર્ય જ બન્યો હેવાન
શું શાળામાં બાળકીઓ સલામત નથી?
શાળાના આચાર્યએ કરી બાળકીઓની છેડતી
આચાર્યની ગંદકી હરકતથી વાલીઓમાં રોષ
રોષે ભરાયેલા વાલીએ આચાર્યને માર્યો લાફો
પોલીસે ઘટના અંગે શરૂ કરી તપાસ
પાટણના હારીજમાં શાળાના આચાર્યે બાળકીઓની છેડતી કરી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે,અને આચાર્યની આ ગંદકી હરકતથી વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવા ગામનો પ્રવીણ ભલાભાઇ પટેલ ફરજ બજાવે છે. જે શાળામાં અભ્યાસ કરતી બાળકીઓની છેડતી કરતો હોવાના આક્ષેપ સાથે બાળકીઓએ વાલીઓને સાથે રાખીને હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ શાળાનો આચાર્ય પ્રવીણ પટેલ અવારનવાર બાળકી સાથે શારીરિક છેડછાડ કરતો હતો.અને આ વાતની કોઇને જાણ કરશે તો જાનથી મારી નાખવાની અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપતો હતો. જેને લઇને બાળકીઓ ડરી જતી હતી અને કોઈને વાત કરતી નહોતી. જોકે, આ દરમિયાન એક બાળકી ખૂબ જ ડરી ગઇ હતી અને બીમાર પડી ગઇ હતી. જે શાળાએ ન જતા તેના વાલીએ તેને પૂછતાં તેણે સઘળી હકીકત પોતાના પિતા આગળ વર્ણવી હતી.પોતાની દીકરીની વાત સાંભળીને પિતાએ પોતાના વિસ્તારની અન્ય બાળકીઓના પિતા સાથે વાત કરી હતી અને અન્ય બાળકીને પુછ્યું તો અન્ય બાળકીઓએ પણ શાળાનો આચાર્ય ગંદી હરકતો કરતો હોવાનું જણાવ્યું હતું.અને શાળામાં રજૂઆત દરમિયાન રોષે ભરાયેલા એક વાલીએ આચાર્યને લાફો માર્યો હતો. ત્યારબાદ વાલીઓએ આચાર્ય સામે હારીજ પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.