સાબરકાંઠા : હિંમતનગરના રૂપાલ ગામે દીપડાએ કર્યું વાછરડીનું મારણ, એક વર્ષમાં ત્રીજો બનાવ…
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ ગામે વાછરડીનું બુધવારે વહેલી સવારે દીપડાએ મારણ કર્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ ગામે વાછરડીનું બુધવારે વહેલી સવારે દીપડાએ મારણ કર્યું હતું. જેને લઈને ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી. તો એક વર્ષમાં રૂપાલમાં ત્રીજી વખત બનાવ બન્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાતથી આઠ મારણ એક વર્ષમાં થયા છે. ત્યારે હવે ખેડૂતો અને પશુ પાલાકોમાં ભય વ્યાપી ગયો છે, જ્યારે વન વિભાગને જાણ થતા કાર્યવાહી કરવાની વાત કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, રૂપાલ ગામના ખેત સીમાડાના વિસ્તારમાં વહેલી ઝાડ નીચે બાંધેલા વાછરડીનું દીપડાએ મારણ કર્યું હતું. વાછરડી મૃત હાલતમાં હતી અને તેની નજીકમાં આસપાસ દીપડાના પગલાના નિશાન જોવા મળ્યા હતા. રૂપાલ ગામના ખેડૂત હિતેશ વણકરની ગાયની 2 વર્ષની વાછરડીનું મારણ કરી દીપડો પાસેના જંગલ વિસ્તારમાં જતો રહ્યો હતો. રૂપાલ ગામમાં આ વર્ષનો ત્રીજો બનાવ બન્યો હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. તો દીપડાના આતંકથી ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પશુઓના મારણના બનાવો વધ્યા છે. તો આ અગાઉ સઢામાં 3, હાથરોલમાં 2, મૂછનીપાળમાં 1, રૂપાલમાં 1 પશુઓનું દીપડાએ મારણ કર્યાંના બનાવો બન્યા છે. તો રૂપાલ, સઢા, મૂછનીપાળ, વગડી, હાથરોલ ગામોના ખેત સીમાડાઓમાં અવાર-નવાર નર-માદા દીપડાઓ દેખાઈ દેતા હોય છે. જેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. આ અંગે રાયગઢ વન વિભાગના RFO અનિરુદ્ધસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે, રૂપાલમાં મારણની જાણ થઇ હતી. જેને લઈને ટીમને મોકલી પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. દીપડો 40થી 50 કિમી અંતર કાપે છે, ત્યારે રાયગઢ રેન્જમાં અંદાજીત 7 જેટલા દીપડા છે. જે જંગલ વિસ્તારમાં છે. પરંતુ ક્યારેક એક સ્થળેથી બીજે સ્થળે જતા મારણ કરતા હોય છે. જેને લઈને ગ્રામજનોએ નાના વાછરડા હોય તેને યોગ્ય જગ્યાએ અને જંગલ વિસ્તારથી દૂર રાખવા, દેવતા રાત્રે સળગાવો જેવા સાવચેતીના પગલા ધ્યાને ગ્રામજનોએ રાખવા જણાવ્યું હતું, ત્યારે હાલમાં બનેલા બનાવને લઈને જગ્યા બદલવાને લોકેટ થયા બાદ જ પાંજરું મૂકી શકાય તેમ છે. હવે તેનું સ્થળ લોકેટની કાર્યવાહી હાથ ધરી છે. તો ગ્રામજનોએ પણ સાવચેતીના પગલા ધ્યાને રાખવા અને વન વિભાગના ગ્રામ પંચાયત સહિતના સ્થળે આપેલા નંબરો પર કોઈ પણ બનાવ કે, સલાહ સૂચન માટે જાણ કરવા જણાવ્યું છે.