/connect-gujarat/media/post_banners/923682ba8785ef0f32868bf204fb0a7dadb9cfd0ff0937566bd3d8b0e7413e0b.jpg)
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ચોમાસામાં કેનાલમાં વહી જતાં પાણીને કનાઈ ગામે લઈ જવા માટે વક્તાપુરમાં ખેતર માલિકોને જાણ કર્યા વગર ખેતરમાં જ ઊંડા ખાડા કરવામાં આવ્યા હતા, ત્યારે જમીનને નુકસાન પહોંચાડ્યું હોવાના આક્ષેપો સાથે કામ બંધ કરાવાતા ગુહાઈ બેટા સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને સમજાવવાના પ્રયાસ હાથ ધરાયા હતા.
સાબરકાંઠાના વક્તાપુરમાં ગુહાઈ મુખ્ય કેનાલમાં વહી જતાં પાણીને વક્તાપુરથી કનાઈના તળાવમાં પાણી લઈ જવા પ્રોજેક્ટ હાથ ધરી 1200 મીટર પાઇપલાઇન નાખવા ગત ફેબ્રુઆરીમાં વર્ક ઓર્ડર અપાયો હતો, અને તાજેતરમાં પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરાઇ છે. જેને પગલે વક્તાપુરના ખેતર માલિકોને જાણ કર્યા વગર ગુહાઇ વિભાગના આદેશથી જેસીબી અને ટ્રકો મારફતે જમીનને નુકસાન કરાયું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. જેમાં એકથી દોઢ વીઘામાં 10-10 ફૂટથી વધુ ઊંડા ખાડા કરી ખેડૂતોની જમીનને નુકસાન પહોંચાડાયું છે. થોડા દિવસ અગાઉ ખેડૂતોએ પૈસા ખર્ચી જમીનનું લેવલિંગ કરાવ્યું હતું. ખેડૂતોને જાણ કર્યા વગર જમીનને નુકસાન કરાઇ રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા કામ બંધ નહીં કરાય તો ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.