Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: પોળો જંગલોમાં હવેથી પેટ્રોલ-ડીઝલની કાર નહીં ચાલે, ડેમ સાઈટ સહિતના વિસ્તારમાં જવા ઈ-રીક્ષા બનશે સહારો

સાબરકાંઠાના પોળો જંગલમાં હવે પેટ્રોલ-ડીઝલ કાર નહીં ચાલે, પ્રવાસીઓએ ઇ રિક્ષામાં જવું પડશે

X

સાબરકાંઠા જિલ્લાના કાશ્મીર ગણાતા વિજયનગરના પોળોના જંગલમાં સહેલાણીઓ વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતનું એક માત્ર કુદરતી સૌંદર્યની સમૃધ્ધિ ધરાવતું અને ઐતિહાસિક વિરાસત સમા વિસ્તાર અભાપુરમાં હવે ઈ-રીક્ષા થકી પોળોના જંગલમાં પ્રદૂષણ ફેલાતું રોકવા પ્રયાસ કરાયો છે. અહીં પેટ્રોલ-ડીઝલની કારમાં જવા નહીં મળે. તાજેતરમાં જ અહીં ઈ-રીક્ષા પ્રોજેક્ટ શરૂ કરાયો છે. તો કલેક્ટરે પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે આ ઈ-રીક્ષા જ એક માત્ર સહારો બનશે. સાબરકાંઠાના પ્રવાસનધામ પોળો ફોરેસ્ટ ખાતે તેના કુદરતી સૌદર્યને લઇ અનેક લોકો આ કુદરતી સૌદર્યને નિહાળવા તેમજ માણવા અહીં આવતા હોય છે.

પ્રવાસ માટે આવતા લોકો પોતાની સાથે પ્લાસ્ટિકની બેગ તેમજ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. જેને પગલે કુદરતના ખોળે પ્રદૂષણ જેવી આપત્તિ ઉભી થાય છે. આથી પોળો જંગલ ખાતેના શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરિઝમ તરીકે વિક્સાવવા માટે જિલ્લા કલેક્ટર હિતેષ કોયાએ 17 જૂને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ 16 ઑગસ્ટ સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ સંહિત કલમ 188 હેઠળ દંડ કાર્યવાહી કરાશે.

Next Story