-
ગુણભાંખરીમાં બે દિવસીય ચિત્ર-વિચિત્ર મેળાનું સમાપન
-
આદિવાસી સંસ્કૃતિનો છલકાયો વૈભવ
-
હજારોની સંખ્યમામાં મેળો મ્હાલવા ઉમટી પડ્યા સહેલાણીઓ
-
વિલાપ અને વિનોદની અનોખી પરંપરા જોવા મળી
-
ત્રિવેણી સંગમ તટે પૂર્વજોના સાથી વિસજર્ન થયા છે
-
જ્યારે પાન ખવડાવી મનના માણીગર મળ્યાનો થાય છે હરખ
સાબરકાંઠામાં પોશીનાનાં ગુણભાંખરી ગામે આદિવાસી સમાજની સંસ્કૃતિ,પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર-વિચિત્ર મેળાનું રંગેચંગે સમાપન થયું છે.આ મેળામાં એક બાજુ પૂર્વજોના અસ્થિ વિસર્જન તો બીજી બાજુ પાન ખવડાવી મનના માણીગર મળ્યાના હરખ સાથે વિલાપ અને વિનોદની અનોખી પરંપરા જોવા મળે છે.
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણભાંખરી ગામે સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો પરંપરાગત ચિત્ર-વિચિત્ર લોકમેળાનું રંગેચંગે સમાપન થયું હતું. હોળી પછીની ચૌદસના દિવસે શરૂ થયેલો મેળો અમાસના દિવસે પૂર્ણ થાય છે. ત્રિવેણી સંગમ તટે શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન આ સ્થળે આ વર્ષે તારીખ 28 માર્ચ અને 29 માર્ચ એમ બે દિવસીય મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા અરવલ્લીની ગિરીકંદરાઓમાં વસતા આદિવાસી સમાજના હજારો લોકો સહ પરિવાર ઉમટી પડ્યા હતા.
ત્રિવેણી સંગમ તટે ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા બે દિવસીય મેળામાં પ્રથમ દિવસે આદિવાસી સમાજના લોકો એકત્ર થઈને મોડી રાત સુધી ભજન કિર્તન તેમજ પરંપરાગત નૃત્ય કરે છે. અમાસના દિવસે વહેલી સવારથી અસ્થિ વિસર્જનની વિધિ શરૂ થાય છે. સંગમ સ્થળે આવેલા લોકો કુલડીમાં પૂર્વજોના અસ્થિની પૂજા કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. પુરુષ અસ્થિ ભરેલી કુલડીને જળમાં પ્રવાહિત કરીને સ્નાન કરે છે.આ સમયે મહિલાઓ પોતાના પૂર્વજોને યાદ કરીને એક બીજાને ભેટીને રૂદન કરે છે.
કહેવાય છે કે “મેળ પડે એટલે મેળો” આ ઉક્તિ અહીં પરંપરાગત મેળાની બીજી બાજુ સમાન છે.આ મેળામાં આદિવાસી યુવકો અને યુવતીઓ પોતાના મનના માણીગરને શોધવા સોળે શણગાર સજીને આવે છે. મેળામાં હરતા ફરતા તેઓ એકબીજાની પસંદગી કરે છે અને તેના પ્રતિક સ્વરૂપે એકબીજાને પાન પણ ખવડાવે છે. તો બીજી તરફ મેળો માણવા આવેલા લોકોએ ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરીને,ચગડોળમાં બેસીને, ચીજ વસ્તુઓની ખરીદી કરીને મેળાનો માહોલ જમાવ્યો હતો.
ત્રિવેણી સંગમ તટે આદિવાસી સમાજની સંસ્કૃતિ,પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર-વિચિત્ર મેળામાં વિલાપ અને વિનોદની અનોખી અનુભૂતિ થાય છે. અને તે અનુભવ કરવા વિદેશી સહેલાણીઓ પણ ઉમટી પડે છે, તેને તેની યાદગીરી રૂપે કેમેરામાં પણ કંડારે છે. ફ્રાન્સથી આવેલા એનિયસ અને જોજેતે પોતાના અનુભવ વર્ણવતા જણાવ્યું કે તેઓ જે દેશમાંથી આવે છે, ત્યાં પૂર્વજોની યાદમાં આટલા બધા લોકો એક સાથે ભેગા થતા નથી. જ્યારે અહીંની પરંપરા પ્રત્યક્ષ નિહાળીને એક અલગ જ પ્રકારનો અનુભવનો અહેસાસ થયો છે.