Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ફરી એકવાર યોજાશે સેવાસેતુ કાર્યક્રમ, તારીખ 22 ઓક્ટોબરથી પ્રારંભ

અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે-9 થી સાંજે 5 વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે.

ગુજરાતમાં ફરી એકવાર યોજાશે સેવાસેતુ કાર્યક્રમ, તારીખ 22 ઓક્ટોબરથી પ્રારંભ
X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનો જનહિત નિર્ણય કર્યો છે. રાજ્યમાં આ અંતર્ગત 22 ઓક્ટોબર-2021 થી 5 જાન્યુઆરી-2022 સુધીમાં 2500 સેવાસેતુ કાર્યક્રમો યોજાશે. ઉલ્લેખનીય છે કે, સેવા સેતુ કાર્યક્રમ મુખ્યત્વે રેશનકાર્ડમાં સુધારા, મિલ્કત આકારણીના ઉતારા, આવકના દાખલા, 7/12 અને 8(અ)ના પ્રમાણપત્રો, પ્રધાનમંત્રી જન આરોગ્ય (મા કાર્ડ) અને હેલ્થ વેલનેસ કાર્ડ કઢાવવા માટે યોજવામાં આવે છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે-9 થી સાંજે 5 વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે.

આ સેવાસેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા 13 વિભાગોની 56 જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવશે. આવા સેવાસેતુ કાર્યક્રમ માટે ગ્રામ્ય કક્ષાએ 6 થી 8 ગામો વચ્ચે એક કેમ્પ તેમજ શહેરી વિસ્તારોમાં મહાનગરોમાં આ સમયગાળામાં 4 થી 20 સેવાસેતુ તથા નગરપાલિકા વિસ્તારોમાં 4 થી 5 વોર્ડનું એક યુનિટ બનાવીને તમામ નગરપાલિકાઓમાં 2 થી 3 સેવાસેતુ કાર્યક્રમો યોજવાનું આયોજન છે. સેવાસેતુ યોજાશે તે કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે. એટલું જ નહિ, સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ અરજદારો-રજુઆત કર્તાઓ માટે અલાયદી યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.

Next Story