-
સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા “મેગા સર્ચ”
-
ઘૂસણખોરી કરી વસવાટ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી
-
બાંગ્લાદેશીઓને હાંકી કાઢવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો
-
દાહોદ, જુનાગઢ, અમરેલી, નવસારી, વલસાડમાં કાર્યવાહી
-
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગત તા. 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા, ત્યારે હુમલાની ઘટના બાદ ગુજરાત પોલીસે ઘૂસણખોરી કરીને વસવાટ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે.
ગત તા. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. 25 એપ્રિલની રાત્રે 3 વાગ્યે અમદાવાદ અને સુરતમાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે.
સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સાથે એક મહત્તવની બેઠક મળી હતી. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવાનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ અને સુરત બાદ રાજ્યના દાહોદ, જુનાગઢ, અમરેલી, નવસારી સહિત વલસાડ જિલ્લામાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. દાહોદના સ્લમ વિસ્તારોમાં રહેતા યુપી-બિહારના પરપ્રાંતિયોના ઘરોમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જ્યારે જુનાગઢમાં પણ જીઆઇડીસી, હોટેલ-રેસ્ટોરન્ટ, જ્વેલર્સમાં કામ કરતા પરપ્રાંતીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી હતી.
આ તરફ, અમરેલીમાં પણ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રાત્રિના સમયે કોમ્બિગ હાથ ધરાયું હતું. રાજુલા-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના કારણે પરપ્રાંતીય લોકોની પોલીસે તપાસ કરી હતી, જ્યારે વલસાડ સહિત નવસારીમાં પણ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં વલસાડમાં 300થી વધુ સંદીગ્ધ બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા હતા. વલસાડના ધરમપુરમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ જિલ્લા પોલીસ સહિત રાજ્યના તમામ જિલ્લાની પોલીસ વિભાગની કામગીરીને બિરદાવી હતી.