સુરત : તક્ષશિલા અગ્નિકાંડમાં તબીબની જુબાની લેવાઈ, મૃતક બાળકોના ફેફસા પણ ફુલી ગયાં હતાં

સરથાણા વિસ્તારમાં તક્ષશિલા શોપિંગમાં લાગી હતી આગ, બિલ્ડર અને અધિકારીઓ સહિત 14 આરોપીઓ સામે ફરિયાદ.

New Update
સુરત : તક્ષશિલા અગ્નિકાંડમાં તબીબની જુબાની લેવાઈ, મૃતક બાળકોના ફેફસા પણ ફુલી ગયાં હતાં

સુરતમાં 22 વિદ્યાર્થીઓના ભોગ લેનારા તક્ષશિલા અગ્નિકાંડમાં ન્યાયિક પક્રિયા શરૂ કરવામાં આવી છે. બાળકોના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરનારા એક તબીબની કોર્ટમાં જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં બિલ્ડરો અને અધિકારીઓ સહિત 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરતમાં ગેરકાયદે બાંધકામોની ભરમાર જોવા મળી રહી છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા શોપિંગ સેન્ટરમાં આજથી બે વર્ષ પહેલાં લાગેલી આગમાં 22 માસુમ વિદ્યાર્થીઓના મોત થયાં હતાં. મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને હજી સુધી ન્યાય મળ્યો નથી ત્યારે હવે કોર્ટમાં ન્યાયિક પક્રિયા શરૂ થતાં વાલીઓમાં નવી આશા જાગી છે. વિદ્યાર્થીઓના મોતના કિસ્સામાં શોપિંગ સેન્ટરનું બાંધકામ કરનારા બિલ્ડરો, ટયુશન કલાસના સંચાલક, ફાયર વિભાગ તેમજ ડીજીવીસીએલના અધિકારીઓ સહિત 14 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

તક્ષશિલા અગ્નિકાંડમાં 14 આરોપી સામે ચાર્જફ્રેમ થયા બાદ શુક્રવારથી ન્યાયિક પ્રક્રિયાની શરૂઆત થઈ હતી. પાંચ વિદ્યાર્થીઓના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરનારા તબીબની કોર્ટમાં ઉલટ તપાસ કરવામાં આવી હતી. તબીબે કોર્ટને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની આંખની કીકી ઝાંખી થઈ ગઈ હતી. ફેફસાં ફૂલી ગયાં હતાં અને મગજ નરમ પડી ગયાં હતાં. શુક્રવારે કોર્ટ પ્રોસિજર દરમિયાન વાલીઓ પણ કોર્ટરૂમની બહાર હાજર હતાં. કોર્ટમાં હવે તારીખ 27મીના રોજ વધુ એક તબીબની ઉલટ તપાસ કરવામાં આવશે.