Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા 3 છાત્રો સંપર્ક વિહોણા, પરિવારો ચિંતિત

સુરેન્દ્રનગર અને વઢવાણના 3 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમનો ગઇકાલ સાંજથી કોઈ સંપર્ક ન થઇ શકતાં ચિંતાતુર વાલીઆે રજૂઆત કરવા કલેક્ટર કચેરીમાં દોડી આવ્યા હતા

X

સુરેન્દ્રનગર અને વઢવાણના 3 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમનો ગઇકાલ સાંજથી કોઈ સંપર્ક ન થઇ શકતાં ચિંતાતુર વાલીઆે રજૂઆત કરવા કલેક્ટર કચેરીમાં દોડી આવ્યા હતા. પરંતુ સરકારી અધિકારીઓ મિટીંગમાં વ્યસ્ત હોવાનું ગાણું ગાઇ રહ્યાં હતા. ત્યારે દિકરાની ચિંતાંમાં રડીને બેહાલ થયેલા એક વિધાર્થીના માતાની કલેક્ટર કચેરીમાં જ તબિયત લથડતા તાત્કાલિક 108માં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં.

યુક્રેનમાં સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિધાર્થીઓ ફસાયા છે. ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણના જ 3 વિધાર્થીઓ હાલ યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર ફસાયા હોવાની વિગતો બહાર આવી છે. હાર્દિક વિરમગામી, સુજાન વળદરીયા અને અલફાલ કનાડ નામના ત્રણ વિધાર્થીઓ 25 ફેબ્રુઆરીથી નીકળી ગયા હોવા છતાં તેમની પરત આવવાની કોઇ વ્યવસ્થા થઇ ન હતી. અને ગઇ કાલ સાંજથી વિધાર્થીઓ સાથે કોઇ સંપર્ક ન થઇ શકતાં કોઇ મદદની આશરે વાલીઆે કલેક્ટર કચેરીમાં દોડી આવ્યા હતાં પરંતુ ત્યાં પણ અંદાજે દોઢ કલાદ સુધી વાલીઆેને સાંભળવામા ન આવતા રજૂઆત કરવા આવેલા ત્રણેય વિધાર્થીઓના વાલીઆેમાં રોષની લાગણી ફેલાઇ હતી. એક વિધાર્થીની માતાએ બે હાથ જોડીને રડતા રડતા પોતાના દિકરાને હેમખેમ પરત લાવવા રજૂઆત કરી હતી. અને દિકરાની ચિંતામાં રડીને બેહાલ થયેલી માતાની તબિયત બગડતા કલેક્ટર કચેરીમાં જ 108 બોલાવવામાં આવી હતી અને વિધાર્થીના માતાને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં. બોર્ડર પર ફસાયેલા વિધાર્થીઓ પાસે પુરતી ખાવા-પીવાની કે ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ કપડાની પણ વ્યવસ્થા ન હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતુ. તેમજ યુધ્ધના દ્રશ્યોથી ભયભીત બનેલા એક વિધાર્થીને માનસિક અસર પણ થઇ ગઇ હોવાનું પરિવારજનો જણાવી રહ્યાં છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ફસાયેલા વિધાર્થીઓને હેમખેમ પરત વતનમાં લાવવામાં આવે તેવી માંગ છે.

Next Story