-
ચોટીલા રાજકોટ હાઇવે પર સર્જાયો અકસ્માત
-
ટ્રક અને પીકઅપ વાન સર્જાયો ગોઝારો અકસ્માત
-
પિતૃકાર્ય માટે જતા પરિવારને થયો કાળનો ભેટો
-
એક જ પરિવારની ચાર મહિલાઓ મોતને ભેટી
-
મોરારીબાપુએ મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-રાજકોટ હાઇવે પર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પિકઅપ વાન ભટકાતા એક જ પરિવારની 4 મહિલાઓનાં મોત થયાં છે. જ્યારે 15 લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃકાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતા પિકઅપમાં સવાર 20 લોકો પૈકી બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા.
જ્યારે 15 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મહિલાનું ચોટીલા સરકારી હોસ્પિટલમાં અને એક મહિલાનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ મૃતક ચારેય મહિલાઓ રેથરિયા કોળી પરિવારની સગી દેરાણી જેઠાણી છે.મધરાતે થયેલા આ ગંભીર અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.
આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને પૂજ્ય મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15 હજાર લેખે કુલ મળીને રૂપિયા 60 હજારની સંવેદના રાશિ અર્પણ કરી છે.