-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા સુરેન્દ્રનગર જિલ્લાના મહેમાન
-
વઢવાણ ખાતેથી વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
-
રૂ. 696.25 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું
-
નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા, માર્ગ-મકાન વિભાગનો સમાવેશ
-
મોટી સંખ્યામાં આમંત્રિત મહાનુભાવો અને નગરજનોની ઉપસ્થિતિ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના મહેમાન બન્યા હતા. સુરેન્દ્રનગરના વઢવાણ આનંદ ભુવન ખાતેથી રૂ. 696.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અને નિર્માણ પામેલ વિવિધ વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગ અને કલ્પસર વિભાગના રૂ. 108.04 કરોડના 2 કામ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રૂ. 07.15 કરોડનું એક કામ સહિત કુલ રૂ. 115.19 કરોડના કુલ 3 કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શિક્ષણ વિભાગના રૂ. 60 લાખનું એક કામ, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગના રૂ. 556.43 કરોડના 6 કામ, માર્ગ અને મકાન વિભાગના રૂ. 22.58 કરોડનું એક કામ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું રૂ. 1.45 કરોડનું એક કામ સહિત રૂ. 581.06 કરોડના 9 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ, દસાડાના ધારાસભ્ય પરષોત્તમ પરમાર, ધ્રાગંધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન અને જનસભામાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.