સુરેન્દ્રનગર : દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર-ધ્રાંગધ્રાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી થયા સહભાગી
ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ સહભાગી થયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ સહભાગી થયા હતા.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ગત તા. 24થી ફેબ્રુઆરીથી શરૂ થયો હતો, ત્યારે આજે આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ત્રિમંદિરમાં ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ મંદિરમાં શ્રી સીમંધર સ્વામી, શ્રી કૃષ્ણ ભગવાન તેમજ ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે મુખ્યમંત્રીએ આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈને હાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રિમંદિર દાદા ભગવાનના નાદથી ગુંજવા સાથે ભજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. 8 હજાર ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા આ ત્રિમંદિરની વિશેષતા એ છે કે, તેમાં વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી, શ્રી કૃષ્ણ ભગવાન તેમજ ભગવાન શિવ એમ વૈષ્ણવ, જૈન તથા શૈવ ત્રણેય સંપ્રદાયનાં ભગવાનનું એક જ મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રી ચામુંડા માતાજી, અંબા માતા, પદ્માવતી માતા, ચકેશ્વરી માતા, ભદ્રકાળી માતાજી તેમજ શ્રીનાથજી, બાલાજી, શ્રી સાંઈબાબા, હનુમાનજી અને ગણપતીજી પણ આ મંદિરમાં બિરાજમાન છે. તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીની 6 ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમા સાથે સિદ્ધ ભગવંતોમાં આદિનાથ ભગવાન, અજિતનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીર ભગવાન, શ્રી પદ્મનાભ પ્રભુના પણ અહીંયા દર્શન થઈ શકે છે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજા, પૂર્વ ધારાસભ્ય પરસોતમભા સાબરીયા સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.