/connect-gujarat/media/post_banners/935c88604e272a717308693879a423ec0663da6b09dcc67f617a9f1772452edc.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા ખાતે રાજ્યકક્ષાના 2 દિવસીય "ચોટીલા ઉત્સવ-2024"નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
ગ્રામ્ય કક્ષાના કલાકારોને પ્રોત્સાહન મળે એ હેતુથી રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે 2 દિવસીય 'ચોટીલા ઉત્સવ-2024'નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કચ્છ, અમદાવાદ, ધ્રોલ, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લામાંથી કલાકારો દ્વારા રાસ, ગરબા, ડાકલા, આરતી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, જિલ્લા કલેકટર, ચોટીલા પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ, શહેરના અગ્રણીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દ્વારકા, સોમનાથ, ડાકોર, શામળાજી, ચોટીલા સહિતના 11 ધાર્મિક સ્થળોએ દર વર્ષે આવા ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારની ઉજવણીથી ગુજરાતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન થઈ જ રહ્યું છે. આ ઉપરાંત પ્રતિભાશાળી સ્થાનિક કલાકારોને પોતાના કલા કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એક સુંદર મંચ પણ ઉપલબ્ધ થઈ રહ્યો છે. ચોટીલા ઉત્સવ યુવા શક્તિને પ્રોત્સાહન આપતો ઉત્સવ બની રહ્યો છે. આ ઉત્સવના માધ્યમથી સરકાર દ્વારા કલાને જીવંત રાખવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.