/connect-gujarat/media/post_banners/568f4cfa80b70e5b162d7c4526848dbfdd0c94fcd9bcfbb1c8ec331c308401f8.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાની વિરેન્દ્રગઢ કેનાલ પાસે મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો છે. જેમાં પ્રેમમાં આડખીલી રૂપ પ્રેમિકાના પતિની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામ પાસે તારીખ 6 મેના રોજ વહેલી સવારે કેનાલમાં એક અજાણ્યા યુવકની કોથળામાં પુરેલી લાશ તરતી હાલતમાં મળી હોવાની વિગતો સાથે જ ધ્રાંગધ્રા સહીત જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી. પોલીસ સમગ્ર ઘટના મામલે ઝીણવટભરી તપાસમાં હતી. ત્યારે અજાણ્યા 40 વર્ષીય પુરુષ બાબતમાં સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ કરવા સાથે આજુબાજુનાં ગામોમાં જઈને પૂછપરછ કરતા મૃતક યુવાન જેસડા ગામમાં ખેત મજૂરી કરતા મહાદેવભાઈ ઠાકોર હોવાની વિગતો મળ્યા બાદ પોલીસ ફૂલ એક્શન મોડમાં જોવા મળી હતી. જેમાં વાડીની જમીનના માલિક બળદેવભાઈ ભરવાડની લાંબી પુછપરછ કરતા આરોપીએ ભાંગી પડી ગુનો કબૂલ્યો હતો. જેમાં આડા સબંધનું પાપ છાપરે ચઢી પોકારે એમ પોતાની પત્ની સાથે જમીન માલીકના આડા સંબંધો મજૂર તેમજ માલિક વચ્ચે રોજના ઝઘડાઓનું કારણ બન્યા હતા. જેમાં 4 તારીખે થયેલા ઝગડામાં આરોપીએ મહાદેવભાઈને માથાના ભાગે તિક્ષ્ણ ઘા મારી હત્યા નીપજાવી હતી ત્યારબાદ લાશના પગ બાંધી કોથળામાં પુરીને કેનાલમાં નાખી દીધી હતી.