-
યુવા ખેડૂતની બાગાયતી પાકમાં સફળતા
-
તરબૂચ અને ટેટીની ખેતીમાં મેળવી સફળતા
-
ખેત પદ્ધતિમાં બદલાવથી મળ્યો આર્થિક લાભ
-
ટૂંકા ગાળામાં જ મળ્યો આર્થિક લાભ
-
અન્ય ખેડૂતો માટે યુવા ખેડૂત બન્યા પ્રેરણારૂપ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચાચકા ગામના યુવા ખેડૂત રાણા મહિપાલસિંહ અને રાણા મહેન્દ્રસિંહ તરબૂચ અને ટેટી જેવા બાગાયતી પાકોની ખેતીમાં અથાગ મહેનત કરીને સારો એવો નફો મેળવી સમગ્ર પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે.
બાગાયતી પાકોની ખેતીમાં મળેલી સફળતા અંગેની વાત કરતા રાણા મહિપાલસિંહ નિવૃત્ત આર્મી જવાન છે.આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ રોજગારી માટેના નવા વિકલ્પોની શોધ કરી હતી. જેમાં સુરેન્દ્રનગર બાગાયતી વિભાગમાં તરબૂચ અને ટેટી જેવા પાકોની ખેતી વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીને છેલ્લા ત્રણ વર્ષથી તરબૂચ અને ટેટીની બાગાયતી ખેતી કરે છે.
ખેડૂતો દ્વારા કપાસ,બાજરો, ઘઉં,તલ, જીરું જેવા પરંપરાગત પાકોની ખેતી થતી હતી. પરંતુ મહિપાલસિંહે આ ખેત પદ્ધતિમાં બદલાવ કરી આધુનિક ઢબે તરબૂચ, ટેટીની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. અને આશરે 10 વીઘામાં ટેટી અને ૨૦ વીઘામાં તરબૂચનું વાવેતર કર્યું છે. તરબૂચ અને ટેટીએ ખૂબ જ ટૂંકા સમયગાળાનો પાક છે. માત્ર ત્રણ માસ જેટલા ટૂંકા સમયમાં મહેનત કરી તેમાંથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. જો વાતાવરણ સારું રહે તો વીઘે અંદાજે રૂપિયા 70થી 80 હજારનું વળતર મળી શકે છે.
જ્યારે બીજા પ્રગતિશીલ યુવા ખેડૂત રાણા મહેન્દ્રસિંહ પણ છેલ્લા 15 વર્ષથી કપાસ, તલ, જીરું, વરિયાળી, ચણા જેવા પાકોની ખેતી કરે છે.પરંતુ હાલમાં આશરે 10 વીઘામાં ટેટી અને 20 વીઘામાં તરબૂચનું વાવેતર કર્યું છે. જેમાં તેઓને ઓછી મહેનતે વધુ નફો મળે છે. માત્ર ત્રણ મહિનાની ખેતીમાં વીઘે રૂપિયા 60થી 70 હજારનો નફો થાય છે. આ ઉપરાંત બાગાયતી પાકોમાં સબસીડી પણ ખૂબ જ વધારે મળે છે.
મદદનીશ બાગાયત નિયામક વિજય કાલરીયાએ જણાવ્યું હતું કે, પરંપરાગત ખેતી કરતા શાકભાજી, ફળ પાકોની ખેતીમાં ઓછા સમયમાં વધુ નફો મળે છે. જેનાથી ખેડૂત મિત્રોનું જીવન ધોરણ પણ ઉંચુ આવે છે. હાલમાં જ બાગાયત વિભાગ તરફથી અલગ-અલગ પ્રકારની સહાય યોજનાઓ માટેનું આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું છે. જેનો તમામ ખેડૂત મિત્રોને લાભ લેવા અનુરોધ પણ તેઓ કરી રહ્યા છે.