/connect-gujarat/media/media_files/2025/01/14/ZCKx7BUrPatDIk23Urei.jpg)
ઉત્તરાયણના પર્વ નિમિત્તે સવારથી પતંગબાજો વચ્ચે 'અવકાશી યુદ્ધ' જામ્યું છે અને ‘એ કાયપો છે.', 'ચલ ચલ લપેટ'ના ગગનભેદી નાદથી માહોલ ગૂંજી ઉઠ્યું છે. આ ઉપરાંત આજે ઉંધીયું-જલેબીની જયાફત ઉજવણીમાં સુગંધ ઉમેરવાનું કામ કરશે.
ગુજરાતમાં ઉત્તરાયણ જેટલું જ મહત્ત્વ વાસી ઉત્તરાયણનું હોય છે અને તેની પણ બુધવારે ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે. આમ, ભાગદોડ-તણાવભર્યા જીવન વચ્ચે આગામી બે દિવસ રણમાં મીઠી વીરડી સમાન રહેશે.
જાણવા મળ્યા મુજબ હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દિવસ દરમિયાન ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફની દિશાનો પવન રહેશે અને પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. આમ, આજે પતંગબાજોને સાનૂકૂળ પવનથી જલસો પડી જશે. આ સિવાય પતંગ ચગાવવા ઠુમકા નહીં લગાવવા પડે તેવા સંકેતો છે.
અમદાવાદની પોળમાં ઉત્તરાયણનો રોમાંચ અનેરો જ હોય છે. ખાસ પોળમાં ઉત્તરાયણ કરવા માટે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. જેના કારણે હવે પોળમાં ધાબું એક દિવસ માટે ભાડે આપવાના ચલણમાં પણ વધારો થયો છે.
ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પક્ષીઓ ઘાયલ થતા હોય છે. સાથે જ, તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી લોકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી, રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતા હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. ઘાયલ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી માટે વન વિભાગનો 8320002000 વોટ્સઅપ અને 1926 હેલ્પલાઈન તેમજ પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે 1962 હેલ્પલાઈન નંબર સેવારત કરાયો છે.