ગુજરાત રાજ્યમાં ચાંદીપુરાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, આજે વધુ 3 શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેના કારણે કુલ શંકાસ્પદ કેસોની સંખ્યા 130 થઈ ગઈ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 45 કેસો પોઝિટિવ આવ્યા છે, જે ચિંતાનો વિષય છે. વધુમાં, આ રોગથી અત્યાર સુધીમાં 52 દર્દીઓના મૃત્યુ થયા છે, જે આ રોગની ગંભીરતા દર્શાવે છે.
બાળકો પર આ રોગની અસર વધારે જોવા મળી રહી છે. હાલમાં 38 બાળકો સારવાર હેઠળ છે. જોકે, સારી વાત એ છે કે 40 બાળકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય દ્વારા તા.૧૮/૦૭/૨૪ ના રોજ જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપેલ છે.
તા. ૧૯/૦૭/૨૦૨૪ ના રોજ સાબરકાંઠા જિલ્લામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી ષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મંત્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. ત્યારબાદ ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચા પણ કરી હતી. આ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર, જિલ્લા કલેકટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અગ્રણી કનુભાઇ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.