-
સાયલા તાલુકાના સેજકપર ગામમાં અનોખી પરંપરા
-
અખાત્રીજે વરસાદનો વરતારો નિહાળવાની પરંપરા
-
ચાકડા ઉપર કુંભાર બનાવે છે 4 જેટલી નાની કુલડી
-
જેને અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો નામ અપાતું
-
જે કુરડી ઝડપી ઓગળે તે માસમાં વરસે સારો વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના પવિત્ર દિવસે વરસાદનો વરતારો નિહાળવાની અનોખી પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી છે.
દર વર્ષે હજુ પણ ગુજરાતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અક્ષય તૃતીયા એટલે કે, ગામઠી ભાષામાં અખાત્રીજ તરીકેના દિવસે વરસાદનો વરતારો નિહાળવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના પવિત્ર દિવસે વરસાદનો વરતારો નિહાળવાની અનોખી પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી છે. સેજકપર ગામે વર્ષોથી પ્રજાપતિ સમાજ દ્વારા વરસાદનો વરતારો દર્શાવવામાં આવે છે.
જેમાં વહેલી સવારથી જ કુંભાર ભગત દ્વારા નવી માટી લાવીને ચાકડા ઉપર 4 નાની મટકી એટલે કે, કુલડી બનાવવામાં આવે છે. જેને 4 માસ અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો નામ આપવામાં આવે છે. જેમાં જે માસની મટકી જેટલી ઝડપી ઓગળીને તેમાંથી પાણી સરકી જાય છે, તે માસમાં વરસાદ સારો થતો હોવાની લોકોમાં માન્યતા છે.
સેજકપર ગામે રહેતા કુંભાર જેરામ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે, દાદા-પરદાદાના સમયથી વરસાદનો વરતારો દર્શાવવા અને નિહાળવાની પરંપરા ચાલી આવી છે. જેને હજુ સુધી જાળવી રાખવામાં આવી છે. જે ચોક્કસ દાવો ન કરતા ગામલોકોની માન્યતા પર આધાર રાખે છે. હવામાન વિભાગ, જ્યોતિષ શાસ્ત્રના ફળ કથન જેમ ગ્રામ્યમાં દેશી ઢબથી અલગ અલગ રીતે આગામી ચોમાસાનો વરતારો જોવાની પરંપરા આજેપણ અકબંધ રહી છે.