ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની યાદમાં યોજાઈ સભા
અરનાલાના કલ્યાણેશ્વર મંદિર ખાતે યોજાઈ સભા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
પ્રદેશ પ્રમુખે વર્તમાન ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિનો કરાયો વિરોધ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા સ્થિત કલ્યાણેશ્વર મંદિર ખાતે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની સ્મૃતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને દક્ષિણ ગુજરાતના પ્રભારી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા સ્થિત કલ્યાણેશ્વર મંદિર ખાતે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની સ્મૃતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘાસિયા સત્યાગ્રહ તરીકે પણ જાણીતા આ આંદોલન 14 વર્ષ સુધી ચાલ્યું હતું. જેના પરિણામે 14,000 જેટલા ખેડૂતોને જમીનના હક પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની સરકારે લોકોને જમીનના માલિક બનાવ્યા, જ્યારે ભાજપ સરકાર લોકોની જમીન છીનવી રહી છે. તેમણે આદિવાસી વિસ્તારમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ અને બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ગઠબંધન અંગેના પ્રશ્નના જવાબમાં ચાવડાએ સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં પોતાના બળે ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું.
આ સભા દરમિયાન વાપીના નવનિયુક્ત તાલુકા પ્રમુખ કલ્પેશ પટેલની નિમણૂંકનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.લોકોએ તેમના પર બુટલેગર અને ભૂમાફિયા હોવાના આક્ષેપો કર્યા હતા. આ મુદ્દે અમિત ચાવડાએ જણાવ્યું કે, રજૂઆત મળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે. કલ્પેશ પટેલે આ આક્ષેપોને અફવા ગણાવી નકારી કાઢ્યા અને નારાજ લોકોને મનાવી લેવાની ખાતરી આપી હતી.