/connect-gujarat/media/media_files/2025/06/17/7FE41Q49aODokhkDYj5I.png)
મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું હતું. સિહોરમાં 11.6, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઉમરાળામાં 10.4, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ વિકટ બની હતી.
ભાવનગરમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા હતા. ભારે વરસાદથી નારી ગામનું તળાવ છલકાયું હતું. ગામનું તળાવ છલકાઈ જતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અનરાધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તા બંધ થયા હતા. ભાવનગર વાયા વલ્લભીપુર, ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ થયો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. હાઈવે બંધ થતા અનેક વાહન ચાલકો ફસાયા હતા.
પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક થઇ રહી છે.
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો હતો. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા હતા. તળાજા, પાલીતાણા તાલુકાના ગામોને એલર્ટ કરાયા હતા. નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ ગામને એલર્ટ કરાયા હતા. ભાવનગરના ભાલ પંથકમાં દેવળિયા-પાળીયાદ ગામનો સંપર્ક તૂટ્યો હતો. ઘેલો નદીનું પાણી કોઝવે પર ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો હતો. કોઝવે પર ફસાયેલા ચાર લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.