સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે કાયદા શાખાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલાતની સનદ મેળવવા માટેની એનરોલમેન્ટ ફી જનરલ કેટેગરીના વકીલો માટે રૂપિયા 750 અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂપિયા 125 થી વધુ ન હોઈ શકે.
ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે હવેથી જે-તે સ્ટેટ બાર કાઉન્સિલ વકીલાતની સનદ માટે પરચુરણ ફી, સ્ટેમ્પ ડ્યુટી કે અન્ય શુલ્કના શીર્ષક હેઠળ કાયદામાં નિર્દિષ્ટ રકમ કરતાં કોઈપણ વધુ રકમ વસુલી શકાશે નહીં. સ્ટેટ બાર કાઉન્સિલ કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એડવોકેટસ એક્ટની કલમ-24 (1)(ક) હેઠળ નિર્દિષ્ટ રકમ કરતાં વધુ રકમના રોલમાં વકીલોને સનદ આપવા માટે કોઈપણ વધારાની રકમ વસુલી શકતા નથી.
સુપ્રિમ કોર્ટે સ્પષ્ટપણે ઠરાવ્યું કે એડવોકેટ એક્ટ-1961 ની કલમ 24 (1)(ક) અંતર્ગત સ્ટેટ બાર કાઉન્સિલ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને ચૂકવવાપાત્ર એનરોલમેન્ટ ફી (નોંધણી ફી) જનરલ કેટેગરીના એડવોકેટ માટે રૂપિયા 750 અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂપિયા 125 નિર્ધારીત કરાયેલી જ છે. તેનાથી વધુ રકમ એનરોલમેન્ટ ફી પેટે સ્ટેટ બાર કાઉન્સિલ કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વસુલી શકે નહીં.
જો કે, સુપ્રિમકોર્ટે બાર કાઉન્સીલ વકીલો માટે કામ કરતી માતૃ સંસ્થા હોય, અન્ય શુલ્ક લેવાની સ્વતંત્રતા ધરાવતી હોવાનું સ્પષ્ટ કર્યું છે. પરંતુ એનરોલમેન્ટ ફી પેટે હવે કોઈપણ શીર્ષક હેઠળ વધારાની રકમ વસૂલી શકશે નહીં. નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાતમાં રૂપિયા 25 હજાર જેટલી ફી વસુલવામાં આવે છે.