ચકલુ પણ ન ફરકી શકે તેવી અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, પોલીસ સિવાઈ ખાનગી એજન્સીઓ પણ સુરક્ષામાં ખડેપગે
અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા બ્લેકકેટ કમાંડોઝ, બખ્તરબંદ ગાડીઓ અને ડ્રોનની મદદથી થઈ રહી છે. સરયૂ નદીમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી
ભગવાનની રામની નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થવાનો છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે હવે બસ થોડી કલાક જ રાહ જોવાની છે.આ સમારંભને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ હાલમાં અયોધ્યા અભેદ્ય કિલ્લામાં બદલાઈ ગયું છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા બ્લેકકેટ કમાંડોઝ, બખ્તરબંદ ગાડીઓ અને ડ્રોનની મદદથી થઈ રહી છે. સરયૂ નદીમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. અયોધ્યાના દરેક ચોક પર પોલીસ અને કમાંડો તૈનાત કર્યા છે. અને બહારના લોકોને પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. અમુક વિસ્તારમાં તો અયોધ્યાના લોકોને પણ આઈડી કાર્ડ બતાવીને જવામાં દેવામાં આવે છે.
પોલીસના 3 ડીઆઈજીને સુરક્ષા માટે તૈનાત કર્યા છે. તો વળી 17 આઈપીએસ, 100 પીપીએસ, 325 ઈંસ્પેક્ટર, 800 સબ ઈંસ્પેક્ટર અને 1000થી વધારે કોન્સ્ટેબલની તૈનાતી અયોધ્યામાં થઈ ગઈ છે. અયોધ્યામાં રેડ અને યલો ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. રેડ ઝોનમાં પીએસીની ત્રણ બટાલિયનની તૈનાતી કરી છે. તો વળી યેલો ઝોનમાં 7 બટાલિયનની તૈનાતી કરી છે. પોલીસ ઉપરાંત ખાનગી એજન્સીઓને પણ અયોધ્યાની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.