જંબુસરમાં રખડતાં શ્વાનનો આતંક યથાવત રહ્યો
રખડતાં શ્વાને 5થી 6 બાળકો ઉપર કર્યો હુમલો
શ્વાન કરડવાથી બાળકને પગમાં 5 ટાંકા આવ્યા
આધેડ મહિલા પણ શ્વાનના આતંકનો ભોગ બન્યા
રખડતાં શ્વાનને પકડવામાં આવે તેવી લોક માંગ
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં રખડતાં શ્વાનનો આતંક યથાવત રહ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ઈસ્માઈલનગર, અમનપાર્ક અને કાગજ ફળિયામાં રખડતાં શ્વાને 5થી 6 બાળકો પર હુમલો કર્યો હતો. જોકે, એક બાળકને શ્વાન કરડવાથી પગના ભાગે 5 ટાંકા આવ્યા હતા, જ્યારે એક બાળકને શ્વાને માથાના બચકાં ભર્યા હતા. વારંવાર થતાં શ્વાનના હુમલામાં શાળાએ જતાં બાળકો તેમજ તેમના પરિવાજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
જંબુસર નગરમાં વહેલી સવારે રખડતાં શ્વાન 2 બાળકો અને 3 વ્યક્તિઓને કરડ્યા હતા. અમન પાર્કમાં રહેતા 10 વર્ષીય મોહમ્મદ સિરાજ પઠાણ અને 10 વર્ષીય મોહમ્મદ નબીલ સલીમ શ્વાને હુમલો કરી બચકા ભર્યા હતા. આ સાથે જ 45 વર્ષીય કસ્બા યાસ્મીન શેખ પણ શ્વાનના આતંકનો ભોગ બન્યા હતા. નગરમાં શ્વાનના ટોળે ટોળા ફરે છે, ત્યારે હાલ તો પાલિકા દ્વારા વહેલી તકે આતંક મચાવનાર રખડતાં શ્વાનને પકડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.