જમ્મુ કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યા બાદ પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલા કરવામાં આવ્યા હતા.
ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા પશ્ચિમી સરહદ પર હુમલો કરવા માટે લગભગ 400 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતે બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.ત્યારે આજે ભારતે ઓડિશાના ગોપાલપુરમાં સ્વદેશી એન્ટી-ડ્રોન સિસ્ટમ 'ભાર્ગવસ્ત્ર'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું, SADL એ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ 'ભાર્ગવસ્ત્ર'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે જે એક સાથે અનેક ડ્રોન પર પ્રહાર કરવા સક્ષમ છે.
આ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા માઇક્રો રોકેટનું ગોપાલપુરના સીવર્ડ ફાયરિંગ રેન્જમાં વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન તેણે બધા નિર્ધારિત ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા છે. 13 મે-2025ના રોજ આર્મી એર ડિફેન્સના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ગોપાલપુર ખાતે રોકેટના ત્રણ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. એક-એક રોકેટ છોડીને બે પરીક્ષણો કરવામાં આવ્યા હતા. એક પરીક્ષણ 2 સેકન્ડની અંદર સાલ્વો મોડમાં બે રોકેટ ફાયર કરીને કરવામાં આવ્યું હતું. ચારેય રોકેટે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું અને મોટાભાગના ડ્રોન હુમલાઓને નીચે લાવવામાં સફળ રહ્યા હતા.
ભાર્ગવસ્ત્ર નામ ભગવાન પરશુરામના શસ્ત્ર પરથી પડ્યું છે. પરશુરામના શસ્ત્રનું નામ ભાર્ગવ અસ્ત્ર હતું, તે ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર હતું. ભવિષ્યના યુદ્ધોમાં આવા શસ્ત્રો અત્યંત ઉપયોગી સાબિત થશે. તેની ઘાતક ક્ષમતાને ધ્યાનમાં રાખીને, તેનું નામ ભગવાન પરશુરામના શસ્ત્ર પરથી રાખવામાં આવ્યું હતું.
તેને સમુદ્ર સપાટીથી 5000 મીટર સુધીના વિસ્તારો સહિત વિવિધ ભૂપ્રદેશોમાં જમાવટ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ દેશની સુરક્ષામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને તાજેતરના સમયમાં જે રીતે પાકિસ્તાન દ્વારા ભારત પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે, તે જોતાં એક મજબૂત એન્ટી-ડ્રોન સિસ્ટમની ખૂબ જરૂર છે.