કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ત્રણ ભૂસ્ખલનની ઘટનાથી ભારે તારાજી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 47 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ છે. જ્યારે 70 કરતા વધારે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશનમાં આર્મી અને નેવીની પણ મદદ લેવામાં આવી રહી છે. આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાને શોક વ્યક્ત કરીને વળતરની જાહેરાત કરી છે.
કેરળમાં અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે તબાહી સર્જાઈ છે. મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 47 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો દટાયાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યાનુસાર બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ ટીમોને મોકલવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન માટે સ્થાનિક તંત્રની સાથે આર્મી અને નેવી પણ જોડાઈ ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા વળતરની પણ જાહેરાત કરી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વ્રારા વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્તોને વળતર તરીકે 50,000 રૂપિયા આપવામાં આવશેની જાહેરાત કરવામાં આવી હતી.