![મહારાષ્ટ્ર: નાગપુરમાં ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રિય સંમેલન ઉત્કર્ષનું આયોજન, RSSના વડા મોહન ભાગવત અને કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી રહ્યા ઉપસ્થિત](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/7e1f24aeb968e858e31f107bb9f3070ee6fb85ebfa2076a7bb4e9ec5d37e8f3d.jpg)
મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલ ડો.હેડગેવાર ભવન ખાતે ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રિય સંમેલન ઉત્કર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના ભારત વિકાસ પરિષદના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 કરતા વધુ શાખા છે ત્યારે ભારત વિકાસ પરિષદ વિદર્ભ પ્રાંત દ્વારા નાગપુરમાં આવેલ ડો.હેડગેવાર ભવન ખાતે પશ્ચિમ ક્ષેત્રિય સંમેલન ઉત્કર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસીય સંમેલન કુલ 5 ચરણમાં યોજાયું હતું જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર સંઘ ચાલક મોહન ભાગવત, કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી, ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ગજેન્દ્રસિંહ સંધુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મુદ્દે વકતવ્ય આપ્યું હતું. આ સંમેલનમાં ગુજરાત,મહારાષ્ટ્ર અને ગોવા ભારત વિકાસ પરિષદની વિવિધ શાખાના પદાધિકારીઓ અને સભ્યો પણ ઉપસ્થિત રહ્યા.