/connect-gujarat/media/media_files/2025/04/20/ejnU2I0Jrr7phjYCBRek.png)
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં કુદરતે કહેર વરસાવ્યો હતો. મુશળધાર વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. જિલ્લાના અનેક હિસ્સામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
આભ ફાટતા અનેક ઘર ધરાશાયી થયા છે. અત્યાર સુધીમાં આઠના મોત નીપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ધર્મ કુંડ ગામમાં 40-50 ઘરો ધરાશાયી થયા છે.
જમ્મુ-શ્રીનગરના નેશનલ હાઈવે 44 પર ઠેર ઠેર કાદવ-કીચડ અને પથ્થરોનો ખડકલો ઉભો થયો છે. જેના કારણે હાઇવે લગભગ બંધ થયો છે. પરિવહન સેવાઓ ખોરવાઈ છે. સેંકડો વાહનો ફસાયા છે. જરૂરી વસ્તુઓનો પુરવઠો પણ મળી રહ્યો નથી. અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે. બાળકો, વરિષ્ઠો અને બીમાર લોકોની સ્થિતિ વધુ દયનીય બની છે.
કાશ્મીરમાં બપોરે બરફના કરા પડવાની અને વાવાઝોડું ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વર્તમાન સિસ્ટમ પર નજર રાખતા હવામાન વિભાગે આજના દિવસે રેડ એલર્ટ જારી કર્યું છે. આવતીકાલથી હવામાનમાં સુધારો થવાની શક્યતા દર્શાવી છે. અરનાસ વિસ્તારના લમસોરા નંબર બેના એક ખાનાબદોષ પરિવાર પર વીજળી પડી છે. જેમાં વધુ બે લોકોના મોત નીપજ્યા છે. એક મહિલા ઘાયલ થઈ છે. વીજ પડવાથી 40-50 ઘેટા-બકરાઓના પણ મોત થયા છે. બાગનામાં પણ ઘર પાણીમાં વહી જતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે.