/connect-gujarat/media/media_files/2025/03/18/yyQbRGip5vQIHY5vixiJ.png)
મહારાષ્ટ્રના નાગપુરમાં ભડકી ઉઠેલી હિંસામાં અત્યાર સુધી 50 લોકોની ધરપકડ થઈ છે.100થી વધુ લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને પૂર્વ આયોજિત ગણાવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ પ્લાનિંગ હેઠળ આ હિંસાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું છે. તેમજ આ ષડયંત્રમાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ નાગપુર હિંસા મામલે વિપક્ષ નેતાઓએ સરકારને દોષિત ઠેરવી છે. તેમણે ભાજપ પર મહારાષ્ટ્રને બીજુ મણિપુર બનાવવા માંગતા હોવાનો આરોપ પણ મૂક્યો છે.
નાગપુર હિંસા પર શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, મારે જાણવું છે કે, જ્યારે અફવાઓ ફેલાઈ રહી હતી ત્યારે, મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કોઈ પ્રતિક્રિયા કેમ ન આપવામાં આવી. મુખ્યમંત્રીના શહેરમાં જ આ પ્રકારની ઘટના કેવી રીતે બની શકે. આ પ્રકારની કોઈપણ ઘટના બને તો પહેલો મેસેજ CMO, ગૃહ વિભાગને મળે છે. આ બંને વિભાગ મુખ્યમંત્રી પાસે છે. તો તેમને કેમ આ ઘટના અંગે ખબર ન પડી. મારો અંદાજ છે કે, ભાજપ મહારાષ્ટ્રને મણિપુર બનાવવા માગે છે.
નાગપુર હિંસા પર શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર મોટો આરોપ મૂક્યો હતો કે, નાગપુરમાં હિંસા પાછળ કોઈ કારણ જ નથી. અહીં જ આરએસએસનું હેડક્વાર્ટર છે. દેવેન્દ્ર ફડણવીસનો મત વિસ્તાર પણ છે. અહીં હિંસા ફેલાવવાની હિંમત કોઈ ન કરી શકે. પોતાના લોકો દ્વારા જ હુમલો કરાવી હિન્દુઓને ડરાવી ધમકાવી પોતાની સાઇડ કરવાની આ નવી પેટર્ન છે.