તેલંગણામાં જીત બાદ રેવંત રેડ્ડી લેશેCM પદના શપથ, રાહુલ-સોનિયા સહિત અનેક દિગ્ગજો રહેશે ઉપસ્થિત..
ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બમ્પર જીત મેળવી લીધા બાદ હવે સરકાર બનાવવાની તૈયારી છે.
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બમ્પર જીત મેળવી લીધા બાદ હવે સરકાર બનાવવાની તૈયારી છે. ત્યારે તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ZPMની જીત થઈ છે. ભાજપ હાઈકમાને હજુ સુધી ત્રણ રાજ્યો માટે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી, પરંતુ કોંગ્રેસ હાઈકમાને તેલંગાણાનું નેતૃત્વ રેવંત રેડ્ડીને સોંપી દીધું છે. રેવંત રેડ્ડી આજે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળી છે. આ રાજ્યમાં પ્રથમ વખત કોંગ્રેસ 64 બેઠકો જીતીને સરકાર બનાવી રહી છે, જ્યારે કેસીઆરની પાર્ટી BRSને 39 અને ભાજપને 8 બેઠકો મળી હતી. કોંગ્રેસ હાઈકમાને બુધવારે તેલંગાણાના મુખ્યમંત્રી પદ માટે રેવંત રેડ્ડીના નામની જાહેરાત કરી હતી. તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સુંદરરાજન આજે હૈદરાબાદના એલબી સ્ટેડિયમ ખાતે બપોરે 1.04 કલાકે રેવન્ત રેડ્ડીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવશે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રેવંત રેડ્ડીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સાથે સીપીઆઈ મહાસચિવ ડી રાજા, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર પણ ભાગ લેશે. તેમની સાથે અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પણ આ સમારોહના સાક્ષી બની શકે છે. તેલંગાણા પોલીસે શપથ ગ્રહણ સમારોહની તૈયારી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. બીજી બાજુ કોંગ્રેસે INDIA ગઠબંધનના મુખ્યમંત્રીઓને પણ આ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ મોકલ્યું છે.