ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022 સીઝનમાં કોરોનાની એન્ટ્રીએ ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ પહેલાથી જ કોરોના માટે પોઝિટિવ આવ્યા હતા. હવે એક વિદેશી ખેલાડીને કોરોના સંક્રમિત થવાના સમાચાર આવ્યા છે. આવી સ્થિતિમાં દિલ્હીની ટીમને મુંબઈની જ હોટલમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે. ટીમના તમામ ખેલાડીઓનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. BCCI હવે વધુ એક ટેસ્ટ કરશે.

ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હીની ટીમે 20 એપ્રિલે પુણેમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે આગામી મેચ રમવાની છે. આ માટે દિલ્હીની ટીમ 18 એપ્રિલે જ પુણે જવાની હતી, પરંતુ હવે આખી ટીમ ક્વોરેન્ટાઈનમાં છે. પોઝિટિવ આવતા ખેલાડીના RTPCR રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવશે.

આ બધી બાબતોની વચ્ચે ચાહકોના મનમાં એક જ સવાલ ઉઠતો હશે કે જો એક અથવા વધુ ખેલાડીઓ કોરોના પોઝિટિવ જોવા મળે તો શું થશે? શું માત્ર દિલ્હીની ટીમની મેચ જ સ્થગિત થશે કે પછી આખી IPL સિઝન રદ થશે? તમને જણાવી દઈએ કે આ સીઝન પહેલા પણ બીસીસીઆઈએ આવી સ્થિતિનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી હતી. બોર્ડે કેટલાક નિયમો બનાવ્યા હતા. હવે આ સ્થિતિનો પણ તે નિયમો અનુસાર જ નિકાલ કરવામાં આવશે.