જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ અને બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે બાંદીપોરાના સાલિંદરના જંગલમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. ઘટનાસ્થળ પરથી એક એકે રાઇફલ અને ત્રણ મૈગઝીન મળી આવ્યા છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે કહ્યું કે ઠાર મારવામાં આવેલ આતંકવાદી તાજેતરમાં જ આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. પોલીસે જણાવ્યું કે આ પ્રકારનું બીજું એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં મરહામામાં ચાલી રહ્યું છે.
આ પહેલા મંગળવારે અનંતનાગ જિલ્લાના દૂરુ વિસ્તારના ક્રીરીમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પોલીસે જણાવ્યું હતુ કે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હલસીદાર દોરૂના રહેવાસી આરિફ હુસૈન ભટ અને કુલગામના રહેવાસી સુહૈલ અહમદ લોનના રૂપમાં થઇ છે.
નોંધનીય છે કે સુરક્ષા દળો ઘાટીમાં આતંકવાદીઓની શોધમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે અને તેમને સતત સફળતા પણ મળી રહી છે. એટલું જ નહીં, આ સફળતા એટલા માટે પણ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે 30 જૂનથી ઘાટીમાં અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે.
