/connect-gujarat/media/media_files/Hl692ZRdUyfXQwj7VHtC.jpg)
હિન્દુ ધર્મમાં આ શારદીય મહાન નવરાત્રીના તહેવારનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે. એવું માનવમાં આવે છે કે, નવરાત્રીના દિવસોમાં માતા પૃથ્વી પર ભ્રમણ કરે છે. ધાર્મિક માન્યતાઓ અને ભક્તોની આસ્થા સાથે નવરાત્રીના પવિત્ર દિવસોમાં સવાર સાંજ માતાજીની આરતી અને મંત્રોના જાપ કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે, અને માતાજીના પ્રસાદનું પણ એટલું જ મહત્વ છે. જગત જનની માતાજીના નવ દિવસ અને નવ સ્વરૂપોની પુજા અને દરેક દેવીનું સ્વરૂપ કાઇક ને કાઇક દર્શાવે છે.
માઁ દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. દુર્ગા પૂજાના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવાની પરંપરા છે. નવરાત્રીના આઠમા દિવસે મહાગૌરી શક્તિની પૂજા કરવામાં આવે છે. નામ પરથી સ્પષ્ટ થાય છે કે, તેમનો દેખાવ સંપૂર્ણ રીતે સફેદ છે. તેમની સરખામણી શંખ, ચંદ્ર અને કુંડાના ફૂલો સાથે કરવામાં આવી છે. અષ્ટવર્ષા ભવેદ ગૌરી એટલે કે, તેમની ઉંમર 8 વર્ષની ગણવામાં આવે છે. તેમના તમામ ઝવેરાત અને કપડાં સફેદ છે. તેથી જ તેમને શ્વેતામ્બરધરા કહેવામાં આવે છે. તેની ચાર ભુજાઓ છે અને તેનું વાહન વૃષભ છે, તેથી તેને વૃષારુદ્ધ પણ કહેવામાં આવે છે.
તેમનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાથમાં તેણે ડમરુ અને નીચેના હાથમાં વરા મુદ્રા ધારણ કરેલી છે. તેની આખી મુદ્રા ખૂબ જ શાંત છે
માન્યતાઓ પ્રમાણે મહાગૌરીએ શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ કારણે તેમનું શરીર કાળું થઈ ગયું, પરંતુ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમના શરીરને ગંગાના પવિત્ર જળથી ધોઈને તેજસ્વી બનાવી દીધું. તેનો દેખાવ એકદમ રંગીન બની ગયો. તેથી જ તેને મહાગૌરી કહેવાયા.
તે અચૂક ફળદાયી છે અને તેની પૂજા કરવાથી ભક્તોની તમામ પાપોનો નાશ થાય છે. પૂર્વ સંચિત પાપોનો પણ નાશ થાય છે. મહાગૌરીની પૂજા અને ઉપાસના ફાયદાકારક છે. તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે.
એક એવી પણ માન્યતા છે કે, ખોરાકની શોધમાં ભૂખ્યો સિંહ ત્યાં પહોંચ્યો જ્યાં દેવી ઉમા તપસ્યા કરી રહ્યા હતા. દેવીને જોઈને સિંહની ભૂખ વધી ગઈ, પરંતુ તે દેવી તપસ્યામાંથી જાગે તેની રાહ જોતો ત્યાં જ બેસી રહ્યો. આ રાહ દરમિયાન સિંહ ખૂબ જ નબળો પડી ગયો, જ્યારે દેવી પોતાની તપસ્યામાંથી જાગી ત્યારે સિંહની હાલત જોઈને તેમને દયા આવી. દયા અને પ્રસન્નતાથી માતાજીએ સિંહને પોતાનું વાહન બનાવ્યું. કારણ કે, તે પોતે તપસ્યામાં બેસીને તેની તપસ્યા પૂર્ણ થવાની રાહ જોતો હતો. કહેવાય છે કે, જે સ્ત્રી પોતાની માતાની ભક્તિભાવથી પૂજા કરે છે, દેવી સ્વયં તેના દામ્પત્ય જીવનની રક્ષા કરે છે.