કહેવાય છે કે શ્વાનએ માનવનો પરમ મિત્ર છે. પરંતુ શ્વાન જયારે મિત્રતા છોડી દે છે ત્યારે માનવીને ગંભીર પરીણામ ભોગવું પડે છે. એવી જ એક ઘટના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગોયંદી ગામે બની છે. જ્યાં હડકાયેલા શ્વાનના આતંકથી ગામજનો ત્રસ્ત બન્યા છે.
આ છે ગણદેવી તાલુકાનું ગોયંદી ગામ. જ્યાં હડકાયેલા શ્વાને આતંક મચાવ્યો છે. છેલ્લા બે દિવસોથી હડકાયેલો શ્વાન 15થી વધુ લોકોને કરડ્યો છે. જેમાં ઘર આંગણે રમતી એક ચાર વર્ષીય બાળકીને હાથમાં બચકું ભરીને ખેંચી જતુ હતું જેને પાડોશીઓએ બચાવી હતી.
પરંતુ હાથમાં ગંભીર રીતે ઇજા પહોંચતા 8 ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે એક શ્રમજીવીને કરડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે અને તેમને 27 ટાંકા લેવા પડ્યા હતા. ગામના અન્ય વિસ્તારોમાં પણ હડકાયેલા શ્વાને એક મહિલા અને વૃધ્ધા પર પણ હુમલો કર્યો હતો.
હડકાયેલા શ્વાનના આતંકના કારણે ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના બાળકોને ઘર બહાર એકલા મોકલવાથી ગભરાઇ રહ્યા છે. સાથે જ ગામના યુવાનો દ્વારા હડકાયા શ્વાનને શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે.
