Connect Gujarat
સમાચાર

રાજકોટ: શું ગુજરાતમાં આગામી સી.એમ.પાટીદાર હશે ? જુઓ કોણે આપ્યું નિવેદન

રાજકોટના ખોડલધામ ખાતે લેઉઆ અને કડવા પાટીદાર સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા હતા અને સમાજના આગેવાનો વચ્ચે મહત્વની બેઠક

X

રાજકોટના ખોડલધામ ખાતે લેઉઆ અને કડવા પાટીદાર સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા હતા અને સમાજના આગેવાનો વચ્ચે મહત્વની બેઠક યોજાય હતી જેનાથી ગુજરાતના રાજકારમાં ગરમાવો આવી ગયો છે.

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમર કસી રહ્યો છે. ત્યારે આજે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ છે. આ અંગે નરેશ પટેલે કહ્યું હતું કે કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી, આગામી CM પાટીદાર સમાજનો હોય એવી ઈચ્છા છે. આ બેઠક મળવાના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે, જેના પરથી મોટી રાજકીય ઊથલપાથલના સંકેત મળી રહ્યા છે. આ ઉપરાંત ખોડલધામ મંદિરમાં ઇતિહાસ સર્જાશે. જ્યાં બેઠક પૂર્ણ થયા બાદ લેઉવા અને કડવા પાટીદારો સાથે મળીને ખોડલધામ મંદિરમાં ધજા ચઢાવવામાં આવી હતી. નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં વસવાટ કરી રહ્યો હોવાથી આ બેઠક દરમિયાન તેઓએ સરકાર તેમજ વહીવટી તંત્ર બન્નેમાં પાટીદાર સમાજને વધુમાં વધુ સ્થાન મળે એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અહીં કોઈ CM કે કોઈ પક્ષને સપોર્ટ કરવાની વાત નથી, પરંતુ જે પક્ષમાં અમારા પાટીદારો છે તેમનું વર્ચસ્વ વધે એની ચર્ચા કરાય હતી. તેઓએ જણાવ્યુ હતું કે કોરોનાકાળમાં ક્યાંક ને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ 'આપ' જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં 'આપ'નું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. 'આપ'એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને એની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે એનું ભવિષ્ય ઘણું ઊજળું દેખાઈ રહ્યું છે, પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી.

અત્રે મહત્વપૂર્ણ છે કે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે 15 જૂને બેઠક યોજાવાની છે. આ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારીઓના ભાગરૂપે યોજાશે, પરંતુ ભાજપ કોઈ પ્લાનિંગ કરે એ પહેલાં આજે મળેલી બેઠકના સમાચારથી રાજકીય ગરમાવો આવી ગયો છે, જેના પરથી મોટી રાજકીય ઊથલપાથલના સંકેત મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં જાન્યુઆરી 2021માં, એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા.

Next Story