/connect-gujarat/media/post_banners/6f0134ffb425cf186a9b3b2ebbf962e42a81e5dc088efc63f4f26ab7a6ea8255.jpg)
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર એસ.ટી. બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા, જ્યારે 2 વ્યક્તિઓને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસી પાસે એસ.ટી. બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતના બનાવમાં 3 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 2 વ્યક્તિઓને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી. તો બીજી તરફ અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર બસની આગળના ભાગમાં ઘુસી ગઈ હતી. જેને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. સમગ્ર મામલાની જાણ 108 ઈમરજન્સી સેવા તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસને થતા જ કાફલા સાથે તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વિદ્યાર્થીઓ પારૂલ યુનિવર્સિટી સંચાલિત હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું હતું.